PPF, NSC, SSY સહીતની નાની બચત યોજનાઓ માટે સરકારે સપ્ટેમ્બર સુધીના સમયગાળા માટે જાહેર કર્યા વ્યાજદર
કેન્દ્ર સરકારે 2026-27 નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર (1 જુલાઈથી 30 સપ્ટેમ્બર, 2026) માટે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરની જાહેરાત કરી છે. વર્તમાન નાણાકીય વર્ષના બીજાક્વાર્ટર માટે પણ વ્યાજ દરોમાં મુખ્યત્વે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેનાથી રોકાણકારોને રાહત મળશે.
નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે 2026-27 નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટર માટે નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરી છે. ખાસ કરીને 1 જુલાઈ, 2026 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધીના સમયગાળા માટે નાણા મંત્રાલયે વ્યાજદરોની જાહેરાત કરી છે. નાણા, મંત્રાલયે જણાવ્યું હતું કે: “નાણાકીય વર્ષ 2026-27 ના બીજા ત્રિમાસિક ગાળા (1 જુલાઈ, 2026 થી 30 સપ્ટેમ્બર, 2026 સુધી) માટે વિવિધ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરો નાણાકીય વર્ષ 2026-27 ના પ્રથમ ત્રિમાસિક ગાળા (1 એપ્રિલ, 2026 થી 30 જૂન, 2026 સુધી) માટે સૂચિત કરાયેલા વ્યાજ દરો જેવા જ યથાવત રહેશે.”
PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના પર શું વ્યાજ મળશે?
સરકારે ફરી એકવાર નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. પરિણામે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS) અને નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) સહિતની તમામ નાની બચત યોજનાઓ પર હાલના દરે વ્યાજ મળતું રહેશે.
સરકારી સૂચના અનુસાર, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) 7.1 ટકા વાર્ષિક વ્યાજ દર મેળવતું રહેશે. દરમિયાન, સુકન્યા સમૃદ્ધિ યોજના માટે વ્યાજ દર 8.2 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે. વધુમાં, વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS) 8.2 ટકા વ્યાજ આપવાનું ચાલુ રાખશે, અને રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) 7.7 ટકા વ્યાજ આપશે.