Loading...

હિટમેન અને સ્કાઈની મહેનત પર ફરશે પાણી? વધુ એક હાર અને માથા પરથી છીનવાઈ જશે સર્વશ્રેષ્ઠ ટીમનો ખિતાબ !

ઇંગ્લેન્ડ સામેની ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝમાં ભારતીય ટીમની મુશ્કેલીઓ ખતમ થતા જોવાથી નથી. પહેલા ટીમે સિરીઝ ગુમાવી છે અને હવે આઈસીસી ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ભારતનું નંબર-1નું સ્થાન પણ જોખમમાં છે. બ્રિસ્ટલમાં રમાયેલી ચોથી ટી20 મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 9 વિકેટે હરાવ્યું હતું. પાંચ મેચની સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-0ની લીડ મળી છે.

હવે ઇંગ્લેન્ડ આજે 11 જુલાઈએ સાઉથહેમ્પ્ટનમાં રમાનારી અંતિમ મેચ જીતવાનું પ્રયત્ન કરશે. જો ઇંગ્લેન્ડ આ મેચ જીતશે તો તે ભારતને પાછળ છોડી દુનિયાની નંબર-1 ટી20 ટીમ બની જશે. એટલે કે સિરીઝની છેલ્લી મેચ હવે માત્ર ભારત માટે માન અને સન્માન નહીં પરંતુ નંબર-1 સ્થાન બચાવવાની લડાઈ પણ છે.

ત્રણ મેચ જીતીને સિરીઝ પર કર્યો કબજો

ભારતીય ટીમ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ ભારતને પ્રથમ આયર્લેન્ડ સામેની બે મેચની સિરીઝમાં 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઇંગ્લેન્ડમાં સિરીઝ જીતવાની આશા હતી. પરંતુ ઇંગ્લેન્ડમાં પણ સ્થિતિ બદલાઈ નહીં. ઇંગ્લેન્ડે પાંચ મેચની સિરીઝમાં ત્રણ મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરી છે. એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. બ્રિસ્ટલમાં ભારતે પ્રથમ બેટિંગ કરી હતી. 20 ઓવરમાં 7 વિકેટે 158 રન બનાવ્યા હતા.

કેપ્ટન શ્રેયસ અય્યરે 49 બોલમાં 80 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે નોટઆઉટ રહ્યો હતો. પરંતુ અન્ય ખેલાડીઓએ તેને સાથ આપી નહોતી. 159 રનનું ટાર્ગેટ ઇંગ્લેન્ડ માટે સરળ સાબિત થયું. શરૂઆતમાં એક વિકેટ ગુમાવ્યા બાદ કેપ્ટન હેરી બ્રૂક અને ફિલ સોલ્ટ ભારતીય બોલરો સામે સારા રમ્યા. બીજી વિકેટ માટે 146 રનની પાર્ટનરશીપ કરી હતી. બ્રૂકે 79 અને સોલ્ટ 59 રન બનાવી નોટઆઉટ રહ્યા. ઇંગ્લેન્ડે 37 બોલ બાકી રાખીને મેચ જીતી લીધી હતી.

અંતિમ મેચ પર બ્રૂકની નજર

સિરીઝ જીત્યા બાદ પણ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રૂકનું લક્ષ્ય હજુ પૂર્ણ થયું નથી. હવે તેનું ધ્યાન દુનિયાની નંબર-1 ટી20 ટીમ બનવા પર છે. બ્રૂકે કહ્યું, “ભારતને 4-0થી હરાવીને શ્રેણી જીતવી ખૂબ જ ખાસ રહેશે. દુનિયાની નંબર-1 ટીમ બનવું વધુ ખાસ હશે. એ જ અમારું મુખ્ય લક્ષ્ય છે. અમે ફરી એકવાર મોટા અંતરથી ભારતને હરાવવાનો પ્રયાસ કરીશું.” વધુમાં તે બોલ્યો કે, “અમને જણાવવામાં આવ્યું છે કે જો અમે આગામી મેચ જીતીશું તો અમે દુનિયાની નંબર-1 ટીમ બની જઈશું અને અમે ચોક્કસપણે આ લક્ષ્ય હાંસલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” બ્રૂકે ભારતના ખરાબ ફોર્મ અંગે પણ કહ્યું કે, “ભારત ખૂબ મજબૂત ટીમ છે. કદાચ આ સિરીઝમાં તેઓ છેલ્લા કેટલાક વર્ષોની જેમ રમી શક્યા નથી. પરંતુ અમે મેદાન પર અમારી યોજનાઓ સારી રીતે અમલમાં મૂકી છે અને તેનાથી અમે ખૂબ ખુશ છીએ.”

ભારત પાસેથી છીનવાઈ શકે નંબર-1નો તાજ?

થોડા મહિના પહેલાં સુધી ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં પ્રભુત્વ જમાવી રહી હતી. ટીમે ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. આઈસીસી રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું હતું. પરંતુ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન સતત ખરાબ પ્રદર્શનને કારણે ચિત્ર બદલાઈ ગયું છે. હવે સ્થિતિ એવી છે કે વધુ એક હાર ભારત પાસેથી દુનિયાની નંબર-1 ટી20 ટીમનો તાજ છીનવી શકે છે.

Image Gallery