સંસદીય સમિતિઓને ઈંધણ બચતની સલાહ, તમામ બેઠકો દિલ્હીમાં જ કરવા નિર્દેશ
મિડલ ઈસ્ટમાં યુદ્ધની શક્યતા અને ઊર્જા સંકટની આશંકાને ધ્યાનમાં રાખીને સંસદીય સમિતિઓને પણ ઈંધણ બચત માટે સૂચનાઓ આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ સંસદીય સમિતિઓના અધ્યક્ષોને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું છે કે શક્ય હોય તેટલી બેઠકો દિલ્હીમાં જ યોજવામાં આવે અને દિલ્હી બહારના સ્ટડી ટૂર ટાળવામાં આવે. વડાપ્રધાન મોદી દ્વારા ઈંધણ બચતની અપીલ બાદ અનેક કેન્દ્રીય મંત્રાલયો, કેબિનેટ મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ પણ પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડા માટે પગલાં શરૂ કર્યા છે.
સરકાર દ્વારા ખર્ચમાં કાપ મુકવા માર્ગદર્શિકા બનાવાઈ
સામાન્ય રીતે સંસદના બે સત્રો વચ્ચે સંસદીય સમિતિઓ વિવિધ રાજ્યોમાં જઈને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓની મુલાકાત લે છે. તેઓ અધિકારીઓ અને હિતધારકો સાથે ચર્ચા કરીને વિવિધ મુદ્દાઓ પર માહિતી એકત્રિત કરે છે. જોકે હવે ખર્ચ અને ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને આવા પ્રવાસો મર્યાદિત રાખવા પર ભાર મૂકાયો છે. નિયમો મુજબ દિલ્હી બહારના પ્રવાસ માટે લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના સભાપતિની મંજૂરી જરૂરી હોય છે. કોઈપણ સ્ટડી ટૂર પાંચથી સાત દિવસથી વધુનો હોઈ શકતો નથી. સરકાર દ્વારા ખર્ચમાં કાપ મૂકવા માટે પણ કડક માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
ઘણી બેઠકો ઓફલાઈન જ રાખવા નિર્ણય
કેટલાક વર્તુળોમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજવાની સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ ગોપનીય માહિતી લીક થવાની શક્યતાને કારણે સંસદીય સમિતિઓની બેઠક ઓફલાઈન જ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ મહિને કૃષિ, ઊર્જા, પેટ્રોલિયમ, સામાજિક ન્યાય, આવાસ અને શહેરી વિકાસ સહિતની અનેક મહત્વપૂર્ણ સંસદીય સમિતિઓની બેઠક દિલ્હીમાં યોજાનાર છે.
Live