IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ પાંચ દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે અંતિમ સીઝન
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવાની છે. IPL 2026ની ઓપનર મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. હાલમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ફક્ત પ્રથમ 20 મેચોનું શિડ્યૂલ જાહેર કર્યું છે. બાકીની મેચોનું શિડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થવાની અપેક્ષા છે.
આગામી IPL સીઝન કેટલાક દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી હોઈ શકે છે. આ ખેલાડીઓએ વર્ષોથી તેમની ટીમો માટે શાનદાર પ્રદર્શન કર્યું છે અને લીગને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. જો કે, ઉંમર, ફિટનેસ અને ટીમ કોમ્બિનેશનના કારણે આ ખેલાડીઓ આગામી સીઝન પછી IPL માંથી નિવૃત્તિ લેવાનું નક્કી કરી શકે છે.
1. મહેન્દ્ર સિંહ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPLના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક છે. જો કે, તેમની ઉંમર અને ફિટનેસને જોતાં એવું માનવામાં આવે છે કે 2026 સીઝન તેમની છેલ્લી હોઈ શકે છે. ધોની જૂલાઈ 2026માં 45 વર્ષનો થશે. છેલ્લા કેટલાક સીઝનમાં ઘૂંટણની સમસ્યા હોવા છતાં તેણે ટૂંકી પરંતુ અસરકારક ઇનિંગ્સ સાથે ટીમને વિજય અપાવ્યો છે. CSKના CEO કાશી વિશ્વનાથને પુષ્ટી કરી હતી કે તે આખી સીઝન રમશે, પરંતુ ઘણા ચાહકો માને છે કે આ તેના માટે ભાવનાત્મક વિદાય સીઝન હોઈ શકે છે. CSK એ ધોનીની કેપ્ટનશીપ હેઠળ તમામ પાંચ IPL ટાઇટલ જીત્યા છે.
2. સુનીલ નરેન
કેરેબિયન બોલિંગ ઓલરાઉન્ડર સુનીલ નરેન કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાંનો એક રહ્યો છે. તેણે IPLમાં કોલકાતા નાઈટ રાઇડર્સ માટે 192 વિકેટ લીધી છે અને તાજેતરના વર્ષોમાં પોતાને એક વિસ્ફોટક ઓપનર તરીકે પણ સાબિત કર્યો છે. સુનીલ નરેન IPLમાં બેટથી 1,780 રન બનાવ્યા છે. સુનીલ નરેન મે મહિનામાં 38 વર્ષનો થશે, તે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તેની વધતી ઉંમર અને ફિટનેસ પડકારોને કારણે તે IPL 2026 પછી ખેલાડી તરીકે લીગમાંથી નિવૃત્તિ લઈ શકે છે.
3. ઇશાંત શર્મા
ભારતીય ઝડપી બોલર ઇશાંત શર્મા IPL માં કુલ સાત ટીમો માટે રમી ચૂક્યો છે. ઇશાંતની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લગભગ સમાપ્ત થઈ ગઈ છે, અને તે નવેમ્બર 2021થી ટીમ ઇન્ડિયાની બહાર છે. યુવા ફાસ્ટ બોલરોની વધતી સ્પર્ધાને કારણે IPL 2026 તેની છેલ્લી સીઝન હોઈ શકે છે. ઇશાંતે ભારત માટે 105 ટેસ્ટ મેચમાં 311 વિકેટ લીધી હતી અને ટીમની યાદગાર જીતનો ભાગ હતો. છેલ્લા બે કે ત્રણ IPL સીઝનમાં ઇશાંતે સપોર્ટ બોલરની ભૂમિકા ભજવી છે. હાલમાં ગુજરાત ટાઇટન્સ (GT) નો ભાગ રહેલો ઇશાંત હવે 37 વર્ષનો છે અને ટૂંક સમયમાં તેની કારકિર્દી અંગે મોટો નિર્ણય લઈ શકે છે.
4. અજિંક્ય રહાણે
ટેકનિકલી રીતે મજબૂત બેટ્સમેન અજિંક્ય રહાણેએ IPLમાં 5032 રન બનાવ્યા છે અને છ ટીમો માટે રમી ચૂક્યો છે. તેણે 2023 સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ સાથે નોંધપાત્ર વાપસી કરી હતી. બાદમાં તે કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે જોડાયો. ગયા વર્ષે તેણે કોલકાતા નાઈટ રાઇડર્સનું પણ નેતૃત્વ કર્યું હતું, જ્યાં ટીમ 8મા સ્થાને રહી હતી. રહાણે આ સીઝનમાં પણ કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ કરે તેવી શક્યતા છે. આ સીઝન રહાણેની છેલ્લી સીઝન હોઈ શકે છે, કારણ કે તે જૂનમાં 38 વર્ષનો થશે.
5. મિશેલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક એવા ખેલાડીઓમાંનો એક છે જેમનું ભવિષ્ય IPL 2026 પછી અનિશ્ચિત માનવામાં આવે છે. સ્ટાર્કને વિશ્વના સૌથી ખતરનાક ડાબોડી ફાસ્ટ બોલરોમાંનો એક માનવામાં આવે છે. 2024માં કોલકાતા નાઈટ રાઇડર્સની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા પછી સ્ટાર્ક દિલ્હી કેપિટલ્સ (DC) માં જોડાયો. તેની ઉંમર અને વ્યસ્ત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શિડ્યૂલને જોતાં તે તેના વર્કલોડને ઘટાડી શકે છે, જે IPLમાં ખેલાડી તરીકે આ તેની છેલ્લી સીઝન બની શકે છે. સ્ટાર્ક પહેલાથી જ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને ટેસ્ટ અને ODI ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
Live