ગુજરાતના ટેબ્લોએ રંગ રાખ્યો:પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં સતત ચોથા વર્ષે ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’ જીતીને રચ્યો ઈતિહાસ
77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે નવી દિલ્હીના કર્તવ્યપથ પર યોજાયેલી રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોએ ફરી એકવાર પોતાની આગવી ઓળખ સાબિત કરી છે. ‘સ્વતંત્રતા કા મંત્રઃ વંદેમાતરમ’ થીમ પર આધારિત ગુજરાતના ટેબ્લોએ “પોપ્યુલર ચોઈસ એવોર્ડ” કેટેગરીમાં સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ 2023, 2024 અને 2025માં પણ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું હતું.
ગુજરાતનો ટેબ્લો 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતા
કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા MYGov પોર્ટલ પર યોજાયેલા મતદાનમાં ગુજરાતનો ટેબ્લો પ્રથમ કલાકથી જ અગ્રેસર રહ્યો હતો અને કુલ 43 ટકા મત મેળવી પીપલ્સ ચોઈસ કેટેગરીમાં વિજેતા બન્યો હતો. ઉત્તરપ્રદેશને 9 ટકા મત સાથે દ્વિતિય સ્થાન મળ્યું હતું, જ્યારે અન્ય 15 રાજ્યો પાછળ રહ્યા હતા.
વંદે માતરમ્-સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં દર્શાવાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સિદ્ધિ પર આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રભક્તિ સાથે રાજ્યના સ્વાતંત્ર્યવીરોના યોગદાનને સુંદર રીતે રજૂ કરતો ગુજરાતનો ટેબ્લો લોકહૃદયમાં વિશેષ સ્થાન બનાવી શક્યો છે. વંદે માતરમ્ અને સ્વદેશી ચળવળથી શરૂ થઈ આત્મનિર્ભર ભારતના સંકલ્પ સુધીની યાત્રાને ટેબ્લોમાં અસરકારક રીતે દર્શાવવામાં આવી હતી.
સતત ચોથા વર્ષે પ્રથમ સ્થાન મેળવીને ઈતિહાસ સર્જ્યો
ઉલ્લેખનીય છે કે, 2023માં ‘ક્લિન ગ્રીન એનર્જીયુક્ત ગુજરાત’, 2024માં ‘ધોરડો – વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’ અને 2025માં ‘આનર્તપુરથી એકતાનગર સુધી – વિરાસતથી વિકાસનો સંગમ’ જેવા ટેબ્લો દ્વારા ગુજરાતે પોપ્યુલર ચોઈસ એવોર્ડ પર પોતાની મજબૂત પરંપરા સ્થાપિત કરી હતી. આ પરંપરાને આગળ વધારતાં 2026માં પણ ગુજરાતે આ ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
30 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં એવોર્ડ મળશે
આ પુરસ્કાર આગામી 30 જાન્યુઆરીએ નવી દિલ્હીના રાષ્ટ્રીય રંગશાળા શિબિરમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વના સમાપન સમારોહમાં કેન્દ્રના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં ગુજરાતને એનાયત કરવામાં આવશે.
ગુજરાતના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું…
‘વંદે માતરમ’ની 150મી વર્ષગાંઠ નિમિત્તે ગુજરાતના ટેબ્લોએ ભીકાજી કામાને શ્રદ્ધાંજલિ આપી હતી, જેમણે ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર સિંહ રાણા સાથે મળીને ભારતની સ્વતંત્રતાનો સંદેશ વિદેશી ભૂમિ પર પહોંચાડ્યો હતો.
આગળના ભાગમાં ભીકાજી કામા પોતાનો સ્વ-ડિઝાઇન કરેલો વંદે માતરમ ધ્વજ પકડીને ઉભાં છે, જેના પર નીચે બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત અનેક ભારતીય ભાષાઓમાં સૂત્ર લખેલું છે. મધ્ય ભાગ રાષ્ટ્રીય ધ્વજના ઉત્ક્રાંતિમાં મુખ્ય સીમાચિહ્નો દર્શાવે છે - 1906માં કોલકાતાના પારસી બાગાન ખાતે સ્વદેશી ચળવળથી લઈને 1917ના હોમ રૂલ ધ્વજ, 1921માં મહાત્મા ગાંધીને રજૂ કરાયેલી પિંગાલી વેંકૈયાની ડિઝાઇન, 1931માં તેનો સ્વીકાર થવાની નજીક, અને અંતે 22 જુલાઈ 1947ના રોજ બંધારણ સભા દ્વારા ધર્મ ચક્ર સાથે ત્રિરંગાનો સ્વીકાર. ટેબ્લો મહાત્મા ગાંધીના શિલ્પ સાથે સમાપ્ત થાય છે, જે સ્વદેશી અને ચરખા દ્વારા સ્વતંત્રતાનું પ્રતીક છે, જે એક ભવ્ય ધર્મ ચક્ર સામે સ્થાપિત છે. ઝવેરચંદ મેઘાણી દ્વારા રચિત કસુંબીનો રંગ પર લોક કલાકારો રજૂઆત કરે છે, જે ટેબ્લોમાં દેશભક્તિના ઉત્સાહનો સંચાર કરે છે, ભારતની સ્વતંત્રતાને આકાર આપનારા અને આજે પણ આત્મનિર્ભર રાષ્ટ્રને પ્રેરણા આપનારા બલિદાનોનું સન્માન કરે છે.