કમોસમી વરસાદ અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, જાણો
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને લઈ આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજનો દિવસ હજુ દક્ષિણ ગુજરાત માટે ભારે રહેશે અહીં કમોસમી વરસાદની શક્યતા છે.
પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ
અંબાલાલ પટેલની આગાહી મુજબ 25 માર્ચથી લઈ 28 માર્ચ દરમિયાન પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. 8 એપ્રિલથી 10 સુધી વધુ એક પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતનું વાતાવરણ બદલાશે. એપ્રિલ માસમાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ વર્ષે પ્રિ મોન્સુન શરૂ થતા ગરમીમાં વધ-ઘટ થતી રહેશે.
ગુજરાતમાં આંધી-વંટોળ આવી શકે છે
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 26 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 11 મેથી લઈ 20 મે સુધી ગુજરાતમાં આંધી-વંટોળ આવી શકે છે. 17મી મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે. 20મી એપ્રિલથી જૂન 8 સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે. 20 એપ્રિલથી 8 જૂન સુધી ખતરનાક વાવાઝોડાની શક્યતા છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં ખતરનાક વાવાઝોડાની અસર થઈ શકે છે. અરબ સાગરમાં 17મી મે બાદ હલચલ વધશે. 25મી મેથી 4 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ પડી શકે છે. 8મી જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20મી જૂન વચ્ચે વાવાઝોડું બનશે. આ વર્ષે ગુજરાતમાં વાવણી વહેલી થઈ શકે છે. 11 મેથી 20 જૂન વચ્ચે ગુજરાત કેટલાક ભાગોમાં વાવણી થઈ શકે છે. 5 જૂલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. આ વખત અલનીનો શક્યતા હોવા છતાં ગુજરાતના ભાગોમાં ઓગસ્ટ પહેલા ચોમાસુ સારું રહી શકે છે.
ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી વાવાઝોડા અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને અમરેલી સહિતના વિસ્તારોમાં કેસર કેરી, બાગાયતી પાક અને તૈયાર પાકને ભારે નુકસાન થયું છે. પવન અને વરસાદથી આંબાના મોર ખરી પડ્યા છે. અમરેલી જિલ્લામાં ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.
Live