Loading...

પુતિન પછી હવે ઝેલેન્સ્કી ભારત આવે એવી શક્યતા:જાન્યુઆરી મહિનાનો પ્લાન, તારીખ નક્કી નથી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પછી હવે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી આવતા મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. જોકે, હજુ તારીખોની જાહેરાત થઈ નથી.

ઝેલેન્સ્કીની આ ભારતની પ્રથમ મુલાકાત હશે. યુક્રેનના રાષ્ટ્રપતિઓએ 1992, 2002 અને 2012માં અત્યાર સુધી માત્ર ત્રણ વખત ભારતની મુલાકાત લીધી છે. વિક્ટર યાનુકોવિચ છેલ્લા યુક્રેનિયન રાષ્ટ્રપતિ હતા, જેઓ 2012માં ભારત આવ્યા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારત રશિયા અને યુક્રેન વચ્ચે સંતુલન જાળવી રાખવા માગે છે. 2024માં પણ ભારતે આવું જ કર્યું હતું. પીએમ મોદી પહેલા મોસ્કો ગયા અને પુતિનને મળ્યા હતા અને થોડા અઠવાડિયા પછી તેઓ કિવ જઈને ઝેલેન્સ્કીને મળ્યા હતા.

ભારત અને યુક્રેનના અધિકારીઓ વચ્ચે છેલ્લા ઘણા અઠવાડિયાથી વાતચીત ચાલી રહી છે. આ વાતચીત પુતિનની યાત્રા પહેલા જ શરૂ થઈ ગઈ હતી

ઝેલેન્સ્કીનો ભારત પ્રવાસ ઘણા પરિબળો પર નિર્ભર રહેશે

રિપોર્ટ્સ અનુસાર, ઝેલેન્સ્કીનો પ્રવાસ ક્યારે અને કેવી રીતે થશે તે ઘણી બાબતો પર નિર્ભર રહેશે, જેમ કે ટ્રમ્પની નવી શાંતિ યોજના કઈ દિશામાં જાય છે, યુદ્ધની સ્થિતિ કેવી રહે છે અને યુક્રેનની રાજનીતિ કેવી રીતે આગળ વધે છે, કારણ કે આ સમયે ત્યાં ઝેલેન્સ્કી સરકાર ભ્રષ્ટાચારના આરોપોથી દબાણમાં છે.

2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી વડાપ્રધાન મોદી, પુતિન અને ઝેલેન્સ્કી બંને સાથે સતત વાત કરતા રહ્યા છે. ફોન કોલ હોય કે આંતરરાષ્ટ્રીય બેઠકો, બંને નેતાઓ સાથે તેમનો સંપર્ક જળવાઈ રહ્યો છે.

પીએમ મોદીએ ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું

પીએમ મોદી ઓગસ્ટ 2024માં યુક્રેનની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે ઝેલેન્સ્કીને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. બેઠકમાં મોદીએ કહ્યું હતું કે ભારત હંમેશા શાંતિના પક્ષમાં રહ્યું છે. હું થોડા દિવસ પહેલા રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યો હતો. ત્યારે મેં કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.

મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે યુક્રેનના મેરિન્સકી પેલેસમાં લગભગ 3 કલાક બેઠક થઈ હતી. બાદમાં યુક્રેનના રાષ્ટ્રપતિએ મીડિયાને કહ્યું હતું કે ભારત એક મોટો દેશ છે, તેનો પ્રભાવ વધુ છે. ભારત પુતિનને રોકી શકે છે. ભારત પોતાની ભૂમિકા ભજવશે.

પુતિન સાથેની મુલાકાતમાં મોદીએ યુક્રેન યુદ્ધ પર વાત કરી હતી

રાષ્ટ્રપતિ પુતિન સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ યુક્રેન યુદ્ધનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત હંમેશા યુક્રેનમાં શાંતિનું સમર્થન કરે છે અને કોઈપણ શાંતિ પ્રયાસમાં મદદ કરવા તૈયાર છે.

ખાસ વાત એ રહી કે આ વખતે મોદી અને પુતિને પોતાની વાતચીતમાં 'યુદ્ધ' કે 'સંઘર્ષ' જેવા શબ્દોનો ઉપયોગ કર્યો નથી અને આ સ્થિતિને ફક્ત 'સંકટ' કહી. આ પહેલાના નિવેદનોથી થોડું અલગ છે, કારણ કે 2022માં મોદીએ સ્પષ્ટ કહ્યું હતું કે આ યુદ્ધનો સમય નથી.