પાકિસ્તાનને 12 રાજ્યોમાં વિભાજીત કરવાની તૈયારી:શહબાઝના મંત્રીએ કહ્યું- નાના પ્રાંતોથી શાસન વધુ સારું થશે
પાકિસ્તાનના ચારેય પ્રાંતોને 12 ભાગમાં વહેંચવાની તૈયારી ચાલી રહી છે. દેશના સંચાર મંત્રી અબ્દુલ અલીમ ખાને કહ્યું છે કે દેશમાં નાના-નાના પ્રાંતો બનવા હવે નિશ્ચિત છે. તેમનું કહેવું છે કે આનાથી શાસન વધુ સારું બનશે.
અબ્દુલ અલીમ ખાન રવિવારે શેખુપુરામાં ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (IPP)ના કાર્યકર્તા સંમેલનમાં સામેલ થયા. આ દરમિયાન તેમણે કહ્યું કે સિંધ અને પંજાબમાં ત્રણ-ત્રણ નવા પ્રાંત બનાવી શકાય છે. આવું જ વિભાજન બલુચિસ્તાન અને ખૈબર પખ્તુનખ્વામાં પણ થઈ શકે છે.
અલીમ ખાને કહ્યું કે આપણા આસપાસના દેશોમાં ઘણા નાના પ્રાંતો છે. એટલે પાકિસ્તાનમાં પણ આવું થવું જોઈએ. અલીમ ખાનની પાર્ટી IPP પીએમ શાહબાઝ શરીફની ગઠબંધન સરકારનો હિસ્સો છે.
કયા કયા નવા પ્રાંત બની શકે છે?
પાકિસ્તાન સરકાર દ્વારા હજુ સત્તાવાર નકશો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ જે વિસ્તારોની ચર્ચા છે, તે આ મુજબ છે-
- પંજાબ: ઉત્તર પંજાબ, મધ્ય પંજાબ, દક્ષિણ પંજાબ
- સિંધ: કરાચી સિંધ, મધ્ય સિંધ, ઉપરલો સિંધ
- KP: ઉત્તરી KP, દક્ષિણી KP, આદિવાસી KP/ફાટા રીજન
- બલુચિસ્તાન: પૂર્વ બલુચિસ્તાન, પશ્ચિમ બલુચિસ્તાન, દક્ષિણી બલુચિસ્તાન
બિલાવલની પાર્ટી ભાગલા વિરુદ્ધ
શહબાઝ સરકારમાં સામેલ બિલાવલ ભુટ્ટોની પાર્ટી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)એ સ્પષ્ટ કહ્યું છે કે સિંધના ભાગલા પાડવાનો કોઈપણ ભોગે વિરોધ કરવામાં આવશે.
PPP લાંબા સમયથી ખાસ કરીને સિંધના ભાગલાનો વિરોધ કરતી રહી છે. ગયા મહિને સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે સિંધના હિતો વિરુદ્ધ કોઈ પગલું સ્વીકારવામાં આવશે નહીં.
CM મુરાદે કહ્યું હતું કે નવા પ્રાંતોની અફવાઓ પર ધ્યાન ન આપો અને કોઈ પણ તાકાત સિંધના ભાગલા પાડી શકતી નથી.
નવા પ્રાંતોની માગ પહેલા પણ ઉઠતી રહી છે, પરંતુ ક્યારેય મંઝિલ સુધી પહોંચી નથી. પાકિસ્તાનમાં 1947ના સમયે પાંચ પ્રાંત હતા. તેમાં પૂર્વ બંગાળ, પશ્ચિમી પંજાબ, સિંધ, નોર્થ વેસ્ટ ફ્રન્ટિયર પ્રોવિન્સ (NWFP) અને બલુચિસ્તાનનો સમાવેશ થતો હતો.
1971માં પૂર્વ બંગાળ અલગ થઈને આજનું બાંગ્લાદેશ બન્યું. પછીથી NWFPનું નામ બદલીને ખૈબર પખ્તુનખ્વા રાખવામાં આવ્યું. આ વખતે આ પ્રસ્તાવને કેટલાક થિંક-ટેન્ક અને મુત્તહિદા કૌમી મૂવમેન્ટ પાકિસ્તાન (MQM-P) જેવા પક્ષોએ પણ સમર્થન આપ્યું છે.
ઘણા નાના પક્ષો પણ વિરોધમાં
PPP ઉપરાંત ઘણા નાના પક્ષો પણ આ વિભાજનના વિરોધમાં છે. અવામી નેશનલ પાર્ટી (ANP) અને બલૂચ રાષ્ટ્રવાદી પક્ષોએ તેને 'ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ ગણાવી છે.
આ લોકોનું કહેવું છે કે નાના પ્રાંતો બનાવવાથી સ્થાનિક ઓળખ અને સંસ્કૃતિ નબળી પડી શકે છે. મોટા પ્રાંતોની રાજકીય તાકાત તૂટી જશે. સેના અને કેન્દ્ર સરકારની પકડ વધુ મજબૂત બનશે.
આ ઉપરાંત, બલુચિસ્તાન જેવા વિસ્તારોમાં તણાવ વધુ ભડકી શકે છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે આ પગલું દેશની પહેલેથી જ અસ્થિર રાજનીતિને વધુ ગૂંચવી શકે છે.
નવા પ્રાંતો બનાવવા માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી
ઘણા રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે પાકિસ્તાનના સત્તા માળખામાં છેલ્લા કેટલાક વર્ષોમાં સેનાનો પ્રભાવ વધ્યો છે. આવા સંજોગોમાં, પ્રાંતોને વિભાજીત કરવાનો નિર્ણય વહીવટી સુધારા કરતાં રાજકીય નિયંત્રણ વધારવાની વ્યૂહરચના પણ હોઈ શકે છે.
નવા પ્રાંતો બનાવવા માટે બંધારણમાં સુધારો જરૂરી છે અને તેના માટે સંસદમાં બે-તૃતીયાંશ બહુમતી જોઈએ. જો પાકિસ્તાન 12 પ્રાંતોમાં વહેંચાઈ જાય, તો દેશનું વહીવટી માળખું, રાજનીતિ અને સંસાધન-વહેંચણી સંપૂર્ણપણે બદલાઈ જશે.
એક્સપર્ટ બોલ્યા- વધુ પ્રાંત એટલે વધુ મુશ્કેલીઓ
પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારી અને પોલીસ અધિકારી રહી ચૂકેલા સૈયદ અખ્તર અલી શાહનું કહેવું છે કે માત્ર પ્રાંતો વધારવાથી સમસ્યાઓ હલ નહીં થાય.
તેમનું કહેવું છે,
"પાકિસ્તાનની સમસ્યા પ્રાંતોની સંખ્યા નથી, પરંતુ શાસન વ્યવસ્થાની ખામીઓ છે. જો આ સુધારવામાં નહીં આવે, તો નવા પ્રાંતો બનાવવાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે."
અલી શાહના મતે નબળી સંસ્થાઓ, કાયદાનો અસમાન અમલ, જવાબદારીનો અભાવ અને સ્થાનિક સરકારોને અધિકાર ન આપવા એ દેશની વાસ્તવિક સમસ્યાઓ છે.
થિંક ટેન્ક PILDATના પ્રમુખ અહેમદ બિલાલ મહેબૂબે પણ કહ્યું કે જૂના અનુભવો દર્શાવે છે કે વહીવટી ફેરબદલે ફરિયાદો જ વધારી છે.
તેમના મતે, નવા પ્રાંતો બનાવવા એ ખર્ચાળ, રાજકીય રીતે વિવાદાસ્પદ અને જટિલ પગલું હશે. વાસ્તવિક જરૂરિયાત સ્થાનિક સરકારોને મજબૂત કરવાની છે.