કાંકરિયા કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકો આવ્યા:છેલ્લા દિવસે ઈશાની દવેએ 'મન મોર બની થનગાટ કરે' સહિતના ગીતો પર લોકોને ડોલાવ્યા
અમદાવાદની શાન ગણાતા કાંકરિયા કાર્નિવલ-2025નું ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત સંધ્યા સાથે રંગેચંગે સમાપન થયું. 25 ડિસેમ્બરથી શરૂ થયેલા આ 7 દિવસીય મહોત્સવમાં 8.28 લાખથી વધુ અમદાવાદીઓ અને પ્રવાસીઓએ મુલાકાત લઈ મનોરંજન માણ્યું હતું, જેમાં રવિવારે રેકોર્ડબ્રેક 2 લાખ લોકો ઉમટી પડ્યા હતા.
સમાપન સમારોહમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, મેયર પ્રતિભા જૈન અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રી રામની ભવ્ય આરતી કરવામાં આવી હતી, જ્યારે અંતિમ સંધ્યાએ જાણીતી ગાયિકા ઈશાની દવેના સુરમાં શહેરીજનો ઝૂમી ઉઠ્યા હતા. કાર્નિવલ પૂર્ણ થયા બાદ સફાઈ અને અન્ય કામગીરીને પગલે આજે 1 જાન્યુઆરીના રોજ કાંકરિયા મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે.
શનિવારે 1 લાખ લોકો આવતા ગેટ બંધ કરવા પડ્યા હતા
કાંકરિયા કાર્નિવલમાં શનિવારે એક લાખથી વધારે લોકો ઉમટી પડતા ભીડને કાબૂ કરવા માટે તમામ ગેટ બંધ કરવા પડ્યા હતા. જ્યારે રવિવારે અને ગઈકાલે (31st ડિસેમ્બર)એ પણ કાંકરિયા પુષ્પકુંજ ખાતેના ગેટ નંબર એકમાં રાત્રે પ્રવેશ બંધ કરવાની ફરજ પડી હતી. આમ કાંકરિયા કાર્નિવલમાં લોકોની ભીડ ઉમટી પડે ત્યારે કોઈ એક દુર્ઘટના ન સર્જાય તેના માટે ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ પણ કરવામાં આવી હતી.
મહાનુભાવો ભગવાન રામની ભવ્ય આરતીમાં સહભાગી થયા
શિક્ષણમંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો હતો. સમાપન સમારોહમાં મંત્રી અને અન્ય ઉપસ્થિત મહાનુભાવો ભગવાન શ્રી રામની ભવ્ય આરતીમાં સહભાગી થયા હતા અને કાર્નિવલની અંતિમ સંધ્યાએ રજૂ થયેલી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળી હતી.
કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક
કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે, કાંકરિયા કાર્નિવલમાં સાત દિવસમાં 8 લાખથી વધુ નાગરિકો આવ્યા છે. આ ઉત્સવ અમદાવાદીઓના દિલમાં વસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી શરૂ થયેલો આ કાર્નિવલ આજે અમદાવાદની સાંસ્કૃતિક ઓળખનું પ્રતીક બન્યો છે. આ આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. કાંકરિયા કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને અભિનંદન. 'લવેબલ અને લિવેબલ' અમદાવાદના સર્વાંગી વિકાસ માટે આ કાર્નિવલ એક મજબૂત માધ્યમ બન્યો છે, જે આગામી વર્ષોમાં વધુ ભવ્ય અને યાદગાર બનતો રહેશે.
ઈશાની દવેએ સૂર રેલાવી ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું
કાંકરિયા કાર્નિવલ 2025ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ સુમધુર અવાજમાં ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. આ ઉપરાંત, કલ્પેશ ખારવા દ્વારા લાઈવ સિંગિંગ પર્ફોમન્સ તેમજ ડી.જે અમિત કોચર દ્વારા ડી.જે નાઈટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ–2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું.
કાંકરિયા કાર્નિવલના સમાપન સમારોહમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી રજની પટેલ, સ્થાનિક ધારાસભ્ય અમૂલ ભટ્ટ, ડેપ્યુટી મેયર જતીન પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા હોદ્દેદારો, વિવિધ કમિટીઓના ચેરમેનો અને સભ્યો સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.