U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા પર કરોડો રૂપિયાનો વરસાદ, BCCIએ જાહેર કરી પ્રાઈઝ મની
BCCI Prize Money for India U-19 Team : U-19 વર્લ્ડકપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર ભારતીય ટીમ માટે BCCIએ તિજોરી ખોલી દીધી છે. BCCIએ પોતાનો દિલદાર અંદાજ દેખાડતા U19 વર્લ્ડકપ જીતનારી ટીમ ઈન્ડિયા માટે પ્રાઈઝ મનીની જાહેરાત કરી દીધી છે અને ખેલાડીઓ પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો છે. આયુષ મ્હાત્રેની કેપ્ટનશીપ હેઠળની ટીમને BCCIએ 7.5 કરોડની પ્રાઈઝ મની આપવાનું એલાન કરી દીધું છે. વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાંના એક BCCI એ પોતાના ઉભરતા ખેલાડીઓની મહેનતને નવાઝવા માટે આ ઈનામની ઘોષણા કરી છે.
ક્રિકેટ જગતે ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા
પોતાના સમયના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન હેડ કોચ ગૌતમ ગંભીર સહિત સમગ્ર ક્રિકેટ જગતે ભારતીય ટીમને ઐતિહાસિક જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. 2008માં ભારતને અંડર-19 ટાઈટલ અપાવનાર કોહલીએ સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા કરી હતી. પૂર્વ ભારતીય સ્પિનર આર અશ્વિને પણ આ જીતને યાદગાર ગણાવી હતી. ભારતના T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ખાસ કરીને સૂર્યવંશીની પ્રશંસા કરતા લખ્યું હતું કે, 'વૈભવનું શાનદાર પ્રદર્શન. શું ખાસ વિચારસરણી સાથે ઉતરો છો. ફાઇનલમાં ક્લાસ ઈનિંગ.
વૈભવ સૂર્યવંશી રહ્યો ફાઈનલનો હીરો
આ ઐતિહાસિક જીત પાછળ સૌથી મોટું યોગદાન યુવા બેટર વૈભવ સૂર્યવંશીનું રહ્યું છે. વૈભવે એકલા હાથે 175 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગને કારણે ઈંગ્લેન્ડના બોલરો લાચાર દેખાતા હતા. ફાઈનલ જેવી દબાણવાળી મેચમાં આટલી મોટી ઈનિંગ રમીને વૈભવે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો છે અને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી હતી. આમ, ભારતની જીત માટે વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઈનિંગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ છે.
આયુષ મ્હાત્રેએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ગૌરવ
ભારતીય કેપ્ટન આયુષ મ્હાત્રેએ કહ્યું કે, અંડર-19 ટીમ રોહિત શર્મા અને હરમનપ્રીત કૌર જેવા ખેલાડીઓના વારસાને આગળ વધારવા માગતી હતી. રોહિતે 2024માં ભારતને T20 વર્લ્ડ કપ અપાવ્યો હતો, જ્યારે હરમનપ્રીતની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમે ગત વર્ષે પોતાનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો.